પાલનપુરથી મેહુલ જોષીની કલમે

આ પ્રેમ ની મોસમ તને જોઈ સતત છલકાય છે,

ને ફૂલતો કેવા મનોમન મૌનમાં હરખાય છે.

કોઈ ખુલાશા માગવા મારે નથી તારી કને,

આ રીત થી જો આપણો આ પ્રેમ તો સચવાય છે.

મળવું નથી મારે કદી બસ એટલું છે પૂરતું,

જોઈ તને બસ હોઠ મારા કેટલા મલકાય છે.

તું બોલ કે ના બોલ હરદમ તે છતાં જોને હવે,

ચારો તરફ તારા શબ્દો જાણે સતત પડઘાય છે.

હોઉં કદી જો એકલો તું યાદ આવે ઠીક છે,

પણ,ભીડમાં આ ખોટ જો તારી મને વરતાય છે………..મેહુલ.

કારણ……….

મિત્રો, મારી કારણ કે ….ગજલ માં યોગ્ય સુધારો કરી મને સરસ ગઝલ બનાવવામાં મદદ કરનાર ડો,મહેશ રાવલ સાહેબ નો ખુબ ખુબ આભાર…..મારી દશાનું દર્દ સહુની આંખથી છલકાય છે
પણ આપની આંખો કદી સહેજે ય ભીની થાય છે !

સમજી રહ્યાં છે દર્દ મારૂં, જે નથી મારા સનમ !
‘ને આપ છો મારા છતાં ક્યાં આપને સમજાય છે !

લીધાં તમારા સમ પછી, હું બુંદ પણ ન પી શકું
‘ને આ જમાનો આપના સોગંદ આપી પાય છે !

જો હો તમારી હાજરી તો શ્વાસ આ રૂંધાય છે
પણ,સહેજ જો છુટ્ટા પડો તો શ્વાસ ક્યાં લેવાય છે !

જીવી રહ્યાં છે જિંદગી જે આજ, ભૂલીને મને
ખુદ એમને કારણ અમારી જિંદગી જીવાય છે !……………………………મેહુલ.

કારણ…………..

જોઈ દશા મારી જમાનો આ દયા  તો ખાય છે,

ને આપની તો ના કદી આંખોય ભીની થાય છે.

આ સૌ નથી મારા છતાં સમજે બધા મારી પીડા,

ને આપ છો મારા છતાં ના આપને સમજાય છે.

ના પી શકું કારણ અમે  તારા જ લીધા સમ ભલા,

ને આ જમાનો આપની સોગંધ આપી પાય છે.

જો હો તમારી હાજરી તો શ્વાસ આ રૂંધાય છે,

ને સ્હેજ છુટા જો પડો તો શ્વાસ ના લેવાય છે.

જીવી રયા છે જિંદગી જે આજ ભૂલી ને મને,

ને એમને કારણ જ મારી જિંદગી આ જાય છે………………………મેહુલ(ગાગાલગા  ૪)

પથ્થર

 

 

 

 

હાથને મારા તમારી બંદગી મંજુર ના હો,

જિંદગી છે દેન તારી જિંદગીનો સુર ના હો.

સામટી આવી મળે આ વેદના ભાગ્ય મહી જો,

તોય ના થાશે કદીકે આ ચહેરે નુર ના હો.

એટલી તાકાત તો છે કે લડી નાખીશ હું પણ,

દુઃખ મારા હે ખુદા તારી દયાથી દૂર ના હો.

આમ જો પથ્થર બની પૂજાય તું આ જગે તો,

છે;મને ઈચ્છા હવે આ લાગણીના પૂર ના હો…….મેહુલ.

ઘટમાળ

આ માનવીના જિંદગીની ચાલતી ઘટમાળ છે,

થોડી બતાવો લાગણી સ્વાર્થી થયાનું આળ છે.

 

છો કેમ?પૂછીને પછી અટકી જવાનું છે અહી,

સંબંધની આ આપણે કેવી રચેલી પાળ છે.

 

આ આયખાના ઝાડમાં દુઃખો મળે છે એટલા,

એકે ફૂટે જો પાન બટકી જાય એવી ડાળ છે.

 

શોધે અહી સૌ એકબીજાને છતા એ ના જડે,

આ માનવીને માનવીની ના જરાય ભાળ છે.

 

ઘરથી કબર ને આ કબર થી ઘર તરફની દોડ માં ,

ઈશ્વર મળે તો પૂછું આ કેવો દીધેલો ઢાળ છે.

”મેહુલ”

 

ગાગાલગા -૪.

નજર…..

લાખો નજર તારા ઉપર તેથી નજર લાગી હશે,

કાતો તને પણ આ જમાનાની અસર લાગી હશે.

સુતો નથી આમતો આ રીતથી કોઈ દિવસ,

ઘરથી વધુ એને વહાલી આ કબર લાગી હશે.

રસ્તે જતા એના જરુખે આંખથી આંખો મળી,

તેથી જ તો મંઝિલથી પ્યારી સફર લાગી હશે.

ભારે નથી થઇ રોઈને આંખો અમસ્તી એમની,

એકેક ક્ષણ  યુગો સમી એના વગર લાગી  હશે.

તેથી જ તો મહેફિલ એની એટલે જામી હશે,

એને અમારી આંખમાં થોડી કદર લાગી હશે…..’મેહુલ ‘

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા .

નગર

સાવ  જૂઠી લાગણીયો થી  સતત  છલકાતું  નગર,

 માનવીમાં માનવી જેવું બની અથડાતું  નગર.

સૌ  સફળતા ઝાંઝવાના જળ સમી લાગે છે છતા ,

મૃગલાના પગ લઈને રોજ આ  ભટકાતું  નગર.

જે  વિતે છે જાત  ની ઊપર સદાયે ભૂલી  જતું,

જાત ને ખોટા દીલાશાઓ  દઈ હરખાતું  નગર.

સાવ કોરી આંખ લઇને એ અહીયા કેવું ફરે ?

થાય જો મન તો વળી થોડું ગણું  શરમાતું  નગર.

એ ફરે  છે સાવ ખોટું સ્મિત રાખી જાહેરમાં,

ને  ભીતર માં સાવ ખાલીપો લઇ કરમાતું  નગર.

ગાંધી

મરણ ને બાદ પણ કોઈ રડે ખરું?

કોઈ પસ્તાય ખરું?

ના,આ વાત મેં અમસ્તી જ નથી પૂછી.

કારણ,મેં જોયું છે,

પુતળા ને ફોટા માં થી નીકળતા ગાંધી ના આંસુ ને………

સમય

કરીને અહી હાલમાં ભેળું , જીવી જવાનો સમય છે
ને ઓ ફૂલ,ફોરમ તું વેચી શકે તો મજાનો સમય છે.

મફતમાં તમે પ્રેમપત્ર જે દીધેલા બધા માફ જાઓ,
કબૂતર હવે તો તમારે તવંગર થવાનો સમય છે.

દુઆઓ નથી લાગતી કામ સહેજે હવે તો બધાને,
ફક્ત એજ કારણ હશે કે બધે તો દવાનો સમય છે.

થઇ જે ગયા છે અહી પાંદડા સાવ જુના બિચારા,
ખરી એ જવાના કુંપળ અને આ હવાનો સમય છે.

પડે સાંજ ને ઢોલ સાથે નગારા વળી શંખ વાગે,
નથી આપ હાજર કે ઈશ્વર તમારી રજાનો સમય છે

…મેહુલ

સ્મરણ

તું ના મળે સ્મરણ મળે તો ચાલશે,
આંખો અશ્રુને જો છળે તો ચાલશે.

જાહેરમાં ઠંડી બની જા વેદના,
એકાંતમાં તું જો બળે તો ચાલશે.

દુઃખો મહી થાઉં ભલે હું એકલો ,
જો લોક સુખો માં ભળે તો ચાલશે.

એવું બને જો થાય પીંડા આપને,
ને દેહ મારો જો કળે તો ચાલશે.

છે શ્વાસ મારો આખરી આવી મળો,
જો આટલી ઈચ્છા ફળે તો ચાલશે.

——મેહુલ

Tag Cloud

Follow

Get every new post delivered to your Inbox.